Wednesday, March 23, 2011

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો


હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો

પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ

જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

 
ભાલાનો તીરકામઠાંનો વારસો હતો

માણસ છતાં ય એક દિવસ હળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા

હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

આખા જીવનમાં દુ:ખની મળી એક પળ રઈશ

એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
 
-રઈશ મનીઆર

No comments: